Categories
વાચન સમૃદ્ધિ

વસંતરાવ દેશપાંડે

જ. 2 મે, 1920 અ. 30 જુલાઈ, 1983

ભારતીય શાસ્ત્રીય સંગીત તથા મરાઠી રંગભૂમિના કલાકાર. શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઠૂમરી, અભંગ, નાટ્યસંગીત જેવા વિવિધ પ્રકારોમાં પારંગત વસંતરાવ દેશપાંડે નખશિખ કલાકાર હતા. માત્ર આઠ વર્ષની વયે તેઓ ફિલ્મસર્જક ભાલાજી પેઢરકરના ધ્યાનમાં આવ્યા અને ફિલ્મ ‘કાલિયા મર્દન’માં ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર ભજવવાની તક મળી. સાથે સાથે ગાયન તથા અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. મરાઠી રંગભૂમિમાં શાસ્ત્રીય સંગીતનું પ્રાધાન્ય હોવાને કારણે અભિનય સાથે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. પંડિત શંકરરાવ સપ્રે પાસે કિરાના ઘરાનાની તાલીમ શરૂ કરી. વિવિધ કલાગુરુઓ પાસે શાસ્ત્રીય સંગીતની વિદ્યા પ્રાપ્ત કરી. જેના કારણે કિરાના સાથે પતિયાલા, ભીંડીબજાર જેવા ઘરાનાની વિશિષ્ટતા વસંતરાવને પ્રાપ્ત થઈ. એમણે ‘કાલિયા મર્દન’ બાદ ‘દૂધ-ભાત’, ‘અષ્ટવિનાયક’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ મુખ્યત્વે રંગમંચ ઉપર મરાઠી રંગભૂમિ એમનું કાર્યક્ષેત્ર રહ્યું. કટિયાર કાલજાત ઘૂસલી સંગીત રૂપક એમના જીવનનું ઐતિહાસિક નાટક બની રહ્યું, જેણે વસંતરાવને અમર ઓળખ આપી. પોતે રંગકર્મી હોવાને કારણે ઠૂમરી, અભંગ, ભજન જેવા પ્રકારોમાં અભિનયનું અંગ ઉમેરીને તેઓ પ્રસ્તુતિને વધુ અસરદાર તેમજ જીવંત બનાવતા. રાગ યમનમાંથી પંચમ વર્જિત કરીને એમણે રાગ ‘રાજ કલ્યાણ’ની રચના કરી હતી. વિશિષ્ટ ચંચલ શૈલીમાં નાટકીય ગાયન શૈલી એ વસંતરાવની એક નોખી ઓળખ છે. ‘કાનડા રાજા પંઢરિચા’, ‘તુ સુખકર્તા, તુ દુઃખહર્તા’, ‘તાલ બોલે’, ‘સૂરત પિયા કી’, ‘મધુમિલના તલ્પા’ જેવાં અનેક મરાઠી નાટ્ય ગીતો સંગીતરસિકો માટે સદાય યાદગાર રહ્યાં છે. વસંતરાવ દેશપાંડેએ અનેક શિષ્યો સંગીતજગતને આપ્યા છે. એમના પૌત્ર રાહુલ દેશપાંડેએ વસંતરાવના સંગીતના વારસાને જીવંત રાખ્યો છે. એમને 1982માં સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુણેમાં ડૉ. વસંતરાવ દેશપાંડે પ્રતિષ્ઠાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં દર વર્ષે ત્રણ દિવસનો વસંતોત્સવ વાર્ષિક સમારોહ યોજવામાં આવે છે તથા ઉત્તમ યુવાન ગાયકોને વસંતોત્સવ યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. એમના જીવન તથા કાર્યને અંજલિ આપવા ‘મી વસંતરાવ’ શીર્ષક સાથે ફિલ્મનું નિર્માણ થયું છે. નાગપુરમાં સરકાર દ્વારા પ્રતિવર્ષ ‘દેશપાંડે મેમરી’ શીર્ષક હેઠળ ત્રિદિવસીય સંગીતમહોત્સવનું આયોજન થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

તમે તમારું ભવિષ્ય રચો !

જ્હોન લૉકનો જન્મ ઇંગ્લૅન્ડના બ્રિસટોલથી બાર માઈલ દૂર આવેલા ગામડામાં છાપરાવાળી ઝૂંપડીમાં થયો. ગામડાની સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી એણે લંડનની પ્રખ્યાત વેસ્ટમિનિસ્ટર સ્કૂલમાં વિશેષ અભ્યાસની તક મળી અને આ તેજસ્વી વિદ્યાર્થી માત્ર વીસ વર્ષની વયે ઑક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રવેશ પામ્યા. પરંતુ એક વિદ્યાર્થી તરીકે સ્નાતક કક્ષાના અભ્યાસને જોઈને એને ભારે અકળામણ થઈ. એણે જોયું કે યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ વિચારકોની કૃતિઓ અભ્યાસ કરાવવામાં આવતી હતી જ્યારે વર્તમાન સમયના ફિલૉસૉફરોની કૃતિઓ ભણાવવામાં આવતી નહોતી. આથી એણે થોડા જ વખતમાં મજબૂરી અને પરિવારના દબાણને ફગાવી દઈને પોતાને ગમતા એવા મેડિસિનના વિષયનો અભ્યાસ કરવાની પોતાની ઇચ્છાને સાકાર કરવા પ્રયત્ન કર્યો. એમાં અનુસ્નાતકની પદવી મેળવી અને એ સમયના પ્રસિદ્ધ વિદ્વાનો અને વિચારકો સાથે કામ કર્યું. લોર્ડ એન્થની એશ્લેક કૂપર લિવરના ઇન્ફેક્શનની સારવાર માટે ઑક્સફર્ડમાં આવ્યા, ત્યારે લૉકના જ્ઞાનથી પ્રભાવિત થયા અને એને એમના અંગત ડૉક્ટર તરીકે રહેવા માટે સંમત કર્યા. એ પછી એશ્લેક ઉપરનું લિવર ઇન્ફેક્શન વધતાં જાનનું જોખમ ઊભું થયું, ત્યારે લૉકે જુદા જુદા ડૉક્ટરોની સલાહ મેળવીને એમને સર્જરી કરાવવાની સલાહ આપી અને એને કારણે એશ્લેક લૉકને તેઓ જીવતદાન આપનાર માનતા હતા. પોતાના મેડિકલના વ્યવસાય ઉપરાંત લૉક એ સમયના જાણીતા વિચારકો સાથે ચર્ચા વિચારણા કરતો હતો. આવા બુદ્ધિજીવોની મુલાકાતને કારણે એ પોલિટિકલ સાયન્સના સિદ્ધાંતો પર લખવા લાગ્યો અને રાજ્યતંત્ર પર બે લેખો લખીને સહુનું ધ્યાન ખેંચ્યું. જ્હોન લૉક સમય જતાં પ્રમાણશાસ્ત્ર (એપિસ્ટોનોલૉજી)માં નવી દિશા ઉઘાડનારો બન્યો અને રાજકીય વિચારધારામાં એણે આગવું યોગદાન કર્યું. ફ્રાંસના વૉલ્ટેર અને રૂસો પર તેમજ અમેરિકનોના ક્રાંતિકારીઓ પર એનો પ્રભાવ પડ્યો. અમેરિકાની સ્વાતંત્રઘોષણા પર એના વિચારોની અસર થઈ અને એ ઉદારમતવાદ (લિબરાલિઝમ)ના પિતા તરીકે જાણીતો થયો.

Categories
વાચન સમૃદ્ધિ

શહીદ બંધુ સિંહ

જ. 1 મે, 1833 અ. 12 ઑગસ્ટ, 1858

ઉત્તરપ્રદેશના સ્વાતંત્ર્યસેનાની શહીદ બંધુ સિંહનો જન્મ ડુમરીમાં થયો હતો. તેઓ તારકુલાહા દેવીના અનન્ય ભક્ત હતા. માતૃભૂમિ પર શાસન કરનાર જુલમી અંગ્રેજોને હાંકી કાઢવાનું તેમણે બીડું ઝડપ્યું હતું. તેમણે પોતાનું રજવાડું છોડી દીધું અને જંગલમાં રહેવા લાગ્યા. તેમણે ગેરીલા પદ્ધતિથી અંગ્રેજોના નાકે દમ લાવી દીધો. જંગલમાંથી પસાર થતા બ્રિટિશ અધિકારીઓ પર તેઓ હુમલો કરતા. તેમને લૂંટીને તેમનું માથું કાપીને તારકુલાહા દેવીના ચરણોમાં અર્પણ કરતા. શરૂઆતમાં બ્રિટિશ અધિકારીઓને ખબર જ ન પડી કે જંગલમાં સૈનિકો ગુમ થઈ જાય છે ? ખૂબ તપાસ કરતાં ખબર પડી કે આ કામ બંધુ સિંહનું છે. ગભરાયેલા અંગ્રેજોએ બનારસથી સૈન્ય મોકલ્યું  અને ડુમરી ગામ પાસે છાવણી નાખી. સ્થાનિક લોકોને આ અંગેની જાણ થતાં તેમણે છાવણી પર છાપો મારીને શસ્ત્રસરંજામ લૂંટી લીધો. આથી ગુસ્સે થઈને અંગ્રેજોએ ગામને આગ લગાડી, પરંતુ ગામલોકો ગામમાંથી ભાગી ગયા. બંધુ સિંહને શોધતા અંગ્રેજોને સુરત સિંહે માહિતી આપી. તેણે વિશ્વાસઘાત કર્યો. અંગ્રેજોએ તેને વાર્ષિક 4800 રૂપિયા અને ગોરખપુરનું ડુમરી રજવાડું આપ્યું. બાતમીને આધારે બંધુ સિંહની ધરપકડ કરવામાં આવી. અલીનગરના ચાર રસ્તા પર તેમને ફાંસી આપવામાં આવી. એવું કહેવાય છે કે તેમને છ વખત ફાંસી આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરેક વખતે ફાંસીનો ફંદો તૂટી જતો હતો. શહીદ બંધુ સિંહની સ્મૃતિમાં શહીદ સ્થળ પર અને તારકુલાહા દેવીના મંદિરના મેદાનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તેમના વંશજોએ શહીદ બંધુ સિંહ સ્મારક સમિતિની સ્થાપના કરી છે. ઉત્તરપ્રદેશમાં શહીદ બંધુ સિંહ પી. જી. કૉલેજ, શહીદ બંધુ સિંહ ગર્લ્સ હૉસ્ટેલ, શહીદ બંધુ સિંહ સ્ટેડિયમ, શહીદ બંધુ સિંહ પાર્ક વગેરે તેમના બલિદાનને જીવંત રાખવા નામાભિધાન પામ્યાં છે.