જ. 13 જૂન 1923 અ. 7 મે, 2001 દેશભક્તિનાં ગીતો માટે જાણીતા પ્રેમ ધવનનો જન્મ હરિયાણા રાજ્યના અંબાલામાં થયો હતો. તેમણે કૉલેજનો અભ્યાસ લાહોરમાં પૂર્ણ કર્યો. આ સમય દરમિયાન તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ગતિવિધિઓ સાથે સકિય હતા. 1946માં ખ્વાજા ખુર્શીદ અન્વરના સહાયક તરીકે તેમણે ‘આજ ઔર કલ’ ફિલ્મમાં કામ શરૂ કર્યું, પણ પછી ભાગલાના કારણે […]
જ. 13 જૂન 1923 અ. 7 મે, 2001 દેશભક્તિનાં ગીતો માટે જાણીતા પ્રેમ ધવનનો જન્મ હરિયાણા રાજ્યના અંબાલામાં થયો હતો. તેમણે કૉલેજનો અભ્યાસ લાહોરમાં પૂર્ણ કર્યો. આ સમય દરમિયાન તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ગતિવિધિઓ સાથે સકિય હતા. 1946માં ખ્વાજા ખુર્શીદ અન્વરના સહાયક તરીકે તેમણે ‘આજ ઔર કલ’ ફિલ્મમાં કામ શરૂ કર્યું, પણ પછી ભાગલાના કારણે તેઓ મુંબઈ આવીને ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન સાથે જોડાયા. અહીં તેમણે પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર રવિશંકર પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની તક ઝડપી લીધી. ‘ધરતી કે લાલ’ ગીતકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ રહી. તેમણે ‘તરાના’, ‘કાબુલીવાલા’, ‘આસમાન’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ વગેરે જેવી ફિલ્મો માટે ગીતો લખ્યાં. ‘શહીદ’ (1965) ફિલ્મમાં મનોજકુમારના અભિનય સાથે પ્રેમ ધવન દ્વારા લિખિત અને સંગીત સર્જિત ગીતોએ ખૂબ રંગ જમાવ્યો. ‘એ વતન એ વતન’ અને ‘મેરા રંગ દે બસંતી ચોલા’ જેવાં ગીતોને ખૂબ લોકપ્રિયતા સાંપડી. ‘પવિત્ર પાપી’ (1970) અને ‘નાનક દુઃખિયા સબ સંસાર’માં તેમની સંગીતકાર તરીકેની પ્રતિભા ઝળકી ઊઠી. સંગીતકાર અને ગીતકાર તરીકેની બેવડી કારકિર્દી ઉપરાંત તેમણે ‘લાજવાબ’ (1950) અને ‘ગૂંજ ઉઠી શહનાઈ’(1959)માં અભિનય કર્યો. ‘નયા દૌર’ (1957) અને અન્ય સાતેક ફિલ્મોમાં તેમણે નૃત્યદિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. ગીતકાર તરીકે તમિલ ફિલ્મ ‘અપૂર્વ સગોધરાગલ’(1989)ની હિન્દી આવૃત્તિ ‘અપ્પુ રાજા’ તેમની અંતિમ ફિલ્મ રહી. હિન્દી સિનેમામાં લગભગ ચાર દાયકા જેટલો કાર્યકાળ ધરાવતા આ કલાકારને ભારત સરકાર તરફથી 1970માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં શ્રેષ્ઠ ગીતો માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બીજલ બુટાલા
સાપેક્ષતા સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન(જ. ઈ. 1879 – અ. ઈ. 1955)ને મળવા માટે એમના એક મિત્ર આવ્યા. ઘણા લાંબા સમય સુધી જુદા જુદા વિષય પર ચર્ચા કર્યા પછી એમના મિત્રએ કહ્યું, ‘આજે વિજ્ઞાને એક એકથી ચડિયાતાં સુખ-સુવિધાનાં સાધનો બનાવવામાં અપૂર્વ સફળતા મેળવી છે. આંખના પલકારામાં ઘણું લાંબું અંતર પસાર થઈ શકે છે અને થોડી જ ક્ષણોમાં આપણી સઘળી જરૂરી ચીજવસ્તુઓ મળી રહે છે, તેમ છતાં કોણ જાણે કેમ સમાજમાં અશાંતિ, અસંતોષ, કલહ અને દુર્વૃત્તિઓ અગાઉ કરતાં અત્યારે વધુ ફેલાઈ ગયેલી જોવા મળે છે. અપાર સુખ-સુવિધા મળતાં માનવીએ પ્રસન્ન રહેવું જોઈએ અને છતાંય એના મનને કેમ ક્યાંય શાંતિ કે સંતોષ નથી ? આનું કારણ શું ?’ મિત્રની વાત અને વેદના સાંભળીને આઇન્સ્ટાઇને કહ્યું, ‘મિત્ર ! આપણે શરીરને સુખ અને સુવિધા પહોંચાડનારાં અનેક પ્રકારનાં સાધનો શોધવામાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરી છે; પરંતુ જીવનમાં સાચાં સુખ-શાંતિ તો આંતરિક આનંદથી પ્રાપ્ત થાય છે. શું આપણે માનવતાની એવી કોઈ ઇન્ડસ્ટ્રી કરી છે ખરી કે જ્યાં લોકોની અંદર મરી રહેલી સંવેદનાઓને જીવિત કરી શકીએ ? એમના હૃદયમાં ત્યાગ, મમતા, કરુણા, પ્રેમ આદિને ઉત્પન્ન કરી શકીએ ? શું આપણી પાસે માનવીના મન અને મસ્તિષ્કને આનંદ આપી શકે એવાં સાધનોનું નિર્માણ કરતું કારખાનું છે ખરું ?’ આઇન્સ્ટાઇનની વાત સાંભળીને એમના મિત્ર વિમાસણમાં ડૂબી ગયા. થોડો સમય વિચાર્યા બાદ એમણે આ મહાન વિજ્ઞાની સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતાં કહ્યું, ‘આપ એ તો કહો કે માનવતાના કારખાનાનું નિર્માણ કઈ રીતે સંભવિત થાય ? માનવીય ભાવનાઓ તો માનવમાં જીવતી હોય છે, મશીનની અંદર નહીં.’ આ સાંભળીને આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘વાહ રે દોસ્ત ! તમે તદ્દન સાચી વાત કરી. અશાંતિ કે અસંતોષ દૂર કરવા માટે આપણે લોકોમાં માનવતાની ભાવના જાગૃત કરવા માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે ભૌતિક સાધનોથી ક્યારેય સુખ-શાંતિ મળી શકતી નથી.’ કુમારપાળ દેસાઈ
