જ. 12 જૂન, 1915 અ. 10 એપ્રિલ, 1998 ચલ્લાકેરે કૃષ્ણમૂર્તિ રાવ નાગરાજ રાવનો જન્મ ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લાકેરેમાં સી. એસ. કૃષ્ણમૂર્તિ રાવ અને શ્રીમતી પુટ્ટમ્માને ત્યાં થયો હતો. તેઓ લેખક, નાટ્યકાર, રંગમંચ કલાકાર, દિગ્દર્શક, પત્રકાર અને સામાજિક કાર્યકર હતા. તેમણે કન્નડ ભાષામાં સાહિત્ય પીરસ્યું હતું. તેમનું બાળપણ ભારતનાં વિવિધ શહેરોમાં વીત્યું હતું. તેમને કર્ણાટકના સમૃદ્ધ કલા અને સાંસ્કૃતિક વારસામાં ઊંડો રસ હતો. ગાંધીજી સાથેની મુલાકાતે તેમનામાં ભારતની સ્વતંત્રતા અને જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે ભક્તિ જગાવી હતી. તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત તેમની એક દલિત સંગીતપ્રેમી વિશેની તેમની ટૂંકી વાર્તા ‘કાડુમલ્લિગે’ માટે શાળા સ્પર્ધા જીતી ત્યારથી થઈ. ત્યારબાદ તેમણે કન્નડ પુસ્તકપ્રિન્ટર અને પ્રકાશક સત્યશોધન પુસ્તક ભંડાર સાથે કામ કર્યું. તેમના કાકા શ્રીનિવાસ રાવના માર્ગદર્શન હેઠળ તેમને કર્ણાટકના અગ્રણી લેખકો અને સાહિત્યકારો સાથે ભળવાની તક મળી હતી. તેમણે કન્નડ સાહિત્ય પરિષદના સચિવ તરીકે પણ જવાબદારીઓ સંભાળી હતી. સી. કે. નાગરાજ રાવના વ્યાપક સંશોધનને કારણે તેમણે ઘણા સંશોધનપત્રો પ્રકાશિત કર્યા હતા. તેમના સંશોધનપુસ્તક ‘કવિ લક્ષ્મીશાન કલા મટ્ટુ સ્થલા’ને કર્ણાટક સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ચાલુક્ય, ગંગા અને હોયસાલા રાજવંશો પર પણ ઘણા સંશોધનપત્રો લખ્યા હતા. જે જર્નલો અને અખબારોમાં પ્રકાશિત થયા હતા. 1983માં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા તેમની મહાન કૃતિ ‘પટ્ટમહાદેવી શાંતલાદેવી’ને પુરસ્કૃત કરવામાં આવી હતી. આ જ કૃતિને 1978માં કર્ણાટક સાહિત્ય અકાદમી દ્વારા ‘શ્રેષ્ઠ સર્જનાત્મક સાહિત્યિક કૃતિ’ પુરસ્કાર મળ્યો હતો. તેમણે બૅંગાલુરુમાં યુનાઇટેડ આર્ટિસ્ટ્સ નામનું પોતાનું મંડળ બનાવ્યું હતું. તેમણે ટી. પી. કૈલાસમ્, કપ્પલી વેંકટપ્પાગૌડા પુટ્ટપ્પા અને અન્ય જાણીતા કન્નડ નાટ્યકારોનાં નાટકોનું દિગ્દર્શન કર્યું હતું. તેઓ તેમના સમયના શ્રેષ્ઠ મેક-અપ કલાકારોમાંના એક તરીકે ઓળખાયા હતા. તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો, બૅંગાલુરુ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ મિથિક સોસાયટી સાથે પણ જોડાયેલા હતા. તેમણે કર્ણાટક લેખકાર સંઘની સ્થાપના કરી હતી અને ‘કાવ્યરામ’ નામના માસિક સાથે કામ કર્યું હતું. તેઓ લેખકોના વિશ્વવ્યાપી સંગઠન પી. ઈ. એન.ના સભ્ય હતા. અમલા પરીખ
વેદોની સર્વોપરીતામાં અતૂટ શ્રદ્ધા રાખતી, ધાર્મિક-સામાજિક સુધારણાની પ્રવૃત્તિ કરતી સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ સંસ્થા. ૧૯મી સદીમાં ભારતીય સમાજમાંથી કેટલીક બદીઓ દૂર કરવા બે પ્રકારની પ્રવૃત્તિઓ થઈ. તેમાંની કેટલીક પશ્ચિમની સંસ્કૃતિથી તો કેટલીક ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતી. દયાનંદ સરસ્વતીએ પોતાના ગુરુ વિરજાનંદના આદેશ મુજબ હિંદુ ધર્મમાં પ્રવેશેલાં અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવવા ૧૦ એપ્રિલ, ૧૮૭૫માં મુંબઈમાં આ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂળ તત્ત્વોને પુનર્જીવિત કરવાનો હેતુ હતો. થોડાં વર્ષ બાદ લાહોરને તેનું વડું મથક બનાવેલું. દયાનંદ સરસ્વતી એક ઈશ્વરમાં માનતા; પરંતુ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેઓ ગૌરક્ષા અને ગૌવધ પ્રતિબંધની તરફેણમાં હતા. આર્યસમાજના મુખ્ય ગ્રંથ ‘સત્યાર્થપ્રકાશ’માં દયાનંદે આર્યસમાજના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. તેમના મતે વેદોનું અધ્યયન જ સાચું અધ્યયન છે અને વૈદિક ધર્મ બધા માટે મુક્ત હોવો જોઈએ. ‘વેદ તરફ પાછા વળો’ એ તેમનું સૂત્ર હતું. આ સંસ્થાનો મુખ્ય આદર્શ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ ભારતનું પુનરુત્થાન કરીને એકતા સાધવાનો હતો. આર્યસમાજની કદાચ સૌથી વધુ નોંધપાત્ર સેવાઓ સામાજિક સુધારણા અને શિક્ષણનો ફેલાવો કરવામાં રહેલી છે. અસ્પૃશ્યતા અને જ્ઞાતિબંધનોનું નિવારણ, બાળલગ્નનિષેધ, વિધવા-પુનર્લગ્ન, સ્ત્રી-શિક્ષણ, દુષ્કાળરાહત જેવાં ક્ષેત્રોમાં તેમની સેવાઓ ગણનાપાત્ર રહી છે. આ સંસ્થાએ ખાસ કરીને ઉત્તર ભારતમાં અનેક સ્થળે શાળા, કૉલેજ, ગુરુકુળ-પાઠશાળા, વિધવાશ્રમ, અનાથાશ્રમ વગેરેની સ્થાપના કરી. આમાંનું કાંગડીનું ગુરુકુળ ખૂબ જાણીતું છે. ભારત બહાર પણ આ સંસ્થાની પ્રવૃત્તિ વિસ્તરી હતી. તેમાં બ્રહ્મદેશ, થાઇલૅન્ડ, મલેશિયા, ત્રિનિદાદ તથા આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં તેમણે કરેલ પ્રવૃત્તિ વિશેષ ઉલ્લેખનીય છે. આર્યસમાજની ચળવળે હિંદુઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ જગાડેલાં. જે હિંદુઓએ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હોય કે તેમને સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હોય તેવાઓને હિંદુ ધર્મમાં પાછા લાવવાની ‘શુદ્ધિ’-ચળવળ એ આર્યસમાજની વિશિષ્ટ કામગીરી રહી છે. આર્યસમાજની ચળવળનાં મૂળ પંજાબમાં અને ઉત્તરપ્રદેશમાં વધુ ઊંડાં ગયાં. આર્યસમાજ રાષ્ટ્રીય લડતમાં હંમેશાં મોખરે રહ્યો. સ્વામી શ્રદ્ધાનંદ, લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ તેમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. શ્રદ્ધા ત્રિવેદી ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1માંથી
જ. 11 જૂન, 1894 અ. 22 જુલાઈ, 1956 જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા પ્રાણલાલ નાનજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા. દેવકરણ નાનજીના પરિવાર દ્વારા દેવકરણ નાનજી બૅન્કિંગ કંપનીની સ્થાપના 26 મે, 1938ના રોજ કરવામાં આવી, જે ડિસેમ્બર, 1939થી ‘દેના બૅન્ક’ તરીકે જાણીતી બની. 1 એપ્રિલ, 2019થી દેના બૅન્કને બૅન્ક ઑફ બરોડામાં સમાવવામાં આવી. તેમના નેતૃત્વ હેઠળ 1946માં ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. તેમણે 1944-45 અને 1952-53માં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રમુખ તરીકે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. તેઓ સારા ફોટોગ્રાફર હતા. 1941-42 દરમિયાન તેઓ ફોટોગ્રાફિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાના પ્રમુખપદે રહ્યા હતા. સ્વદેશી ચળવળને વેગ આપવા તેમણે સ્વદેશી લીગ ટ્રસ્ટની સ્થાપના કરી. તેમને પોરબંદર રાજ્યના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય વિદ્યાભવનની શૈક્ષણિક સંસ્થાઓના સહસ્થાપક હતા. તેમણે કરેલાં કાર્યો બદલ પોરબંદર રાજ્ય દ્વારા રાજભૂષણ પદવીથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રિટિશ ઇન્ડિયન ગવર્નમેન્ટ દ્વારા તેમને બૉમ્બે સિટી માટે જસ્ટિસ ઑવ્ ધ પીસ અને માનદ પ્રેસિડેન્સી મૅજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા હતા. 1977માં ભારતીય વિદ્યાભવનની ધ ભવન્સ કૉલેજ ઑવ્ કૉમ્યુનિકેશન ઍન્ડ મૅનેજમેન્ટનું નામ ‘ભવન્સ પ્રાણલાલ દેવકરણ નાનજી કૉલેજ ઑવ્ માસ કૉમ્યુનિકેશન’ કરવામાં આવ્યું છે. તેમની યાદમાં ‘પ્રાણલાલ દેવકરણ નાનજી પુરસ્કાર’ આપવામાં આવે છે. અનિલ રાવલ
